![Photo of શનિ-રવિની રજામાં ફરવા માટે આ ગામ બન્યુ લોકોમાં ફેવરિટ, તમે પણ પહોંચી જાઓ કુદરતના ખોળે by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1689412525_mandan_lake2.jpg.webp)
ગુજરાતીઓ હવે ફરવાના વધુ ક્રેઝી બની ગયા છે. ગુજરાતના નાના-મોટા દરેક શહેરોમાં રહેતા લોકો હવે વીકેન્ડ્સમાં કે એક-બે દિવસની જાહેર રજામાં નજીકના સ્થળોએ ફરવા ઉપડી જાય છે. જો મોટુ વેકેશન હોય તો ગુજરાતની બહાર ધામા નાંખે છે. જો અમદાવાદની વાત કરીએ તો એકાદ રજા મળે કે શનિવાર કે રવિવાર આવે એટલે લોકો મોટાભાગે આબુ, અંબાજી, પોલો ફોરેસ્ટ, શામળાજી, ઉદેપુર, વડોદરા નજીકના સ્થળોએ ફરવા જતા રહે છે પરંતુ અત્યારે ચોમાસાનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે જો દક્ષિણ ગુજરાતમાં ફરવા જાઓ તો તમને ચારેબાજુ લીલોતરી જોવા મળશે.
![Photo of શનિ-રવિની રજામાં ફરવા માટે આ ગામ બન્યુ લોકોમાં ફેવરિટ, તમે પણ પહોંચી જાઓ કુદરતના ખોળે by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1689412527_mandan_lake1.jpg.webp)
ચોમાસામાં નર્મદા જિલ્લો કુદરતી સૌંદર્ય થી ભરપૂર બની જાય છે. અને પ્રવાસીઓ માટે નવા નવા ફરવાના સ્થળોનું નિર્માણ થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી થી 40 કિ.મી. અને રાજપીપળાથી 12 કિલોમીટર દૂર આવેલા જંગલ વિસ્તાર અને કરજણ ડેમના બેક વોટરના કિનારે માંડણ ગામ વસ્યું છે. જે હાલ ચોમાસાની સીઝનમાં પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ સ્થળ બન્યું છે. તો તમે સ્ટેચ્યુ ઓફ યૂનિટીના ટેન્ટ સિટી કે પછી વઢવાણા વેટલેન્ડમાં એસી કે નોન એસી રૂમમાં એક રાત રોકાઇને માંડણ ગામની મુલાકાત લઇ શકો છો. માંડણને લોકો ગુજરાતનું કાશ્મીર પણ કહી રહ્યા છે.
![Photo of શનિ-રવિની રજામાં ફરવા માટે આ ગામ બન્યુ લોકોમાં ફેવરિટ, તમે પણ પહોંચી જાઓ કુદરતના ખોળે by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1689412547_mandan_lake3.jpg.webp)
કરજણ નદીના પાછળના ભાગે કુદરતના ખોળે આવેલ આ ગામ એ સંપૂર્ણ આદિવાસી ગામ છે આ સ્થળે શનિ અને રવિવાર તો જાણે મેળો ભરાય તેટલી ભીડ જોવા મળે છે જ્યાં સ્થાનિકો લોકો દ્વારા નાની નાની હોડીઓમાં પ્રવાસીઓને બેસાડીને બોટિંગ કરાવવામાં આવે છે. બોટિંગ કરતા કરતા તમે આસપાસના લીલાછમ ડુંગરોનો નજારો જોઇને તમારી આંખોને ઠારી શકો છો. અહીંના આહલાદક દ્રશ્યો તમને વારંવાર અહીં ખેંચી લાવશે.
![Photo of શનિ-રવિની રજામાં ફરવા માટે આ ગામ બન્યુ લોકોમાં ફેવરિટ, તમે પણ પહોંચી જાઓ કુદરતના ખોળે by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1689427411_mandan_lake.jpg.webp)
રાજ્યમાં હાલ સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે. ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે અને ધરતી માટે જાણે લીલીછમ ચાદર ઓઢી દીધી હોય તેવું દ્રશ્ય તો સર્જાય છે. આ સાથે નદી અને નાળા છલકાવવાથી સૌંદર્યમાં ઓર વધારો થાય છે. માંડણ લેક પર થોડોક સમય પસાર કર્યા બાદ તમે નર્મદા જિલ્લામાં આવેલ કુદરતી ધોધ ઝરવાણીની પણ મુલાકાત લઇ શકો છો. હાલ વરસાદી વાતાવરણને કારણે ઝરવાણી ધોધ પાસે વાતાવરણ લીલુંછમ બન્યું છે.
![Photo of શનિ-રવિની રજામાં ફરવા માટે આ ગામ બન્યુ લોકોમાં ફેવરિટ, તમે પણ પહોંચી જાઓ કુદરતના ખોળે by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1689427457_mandan_lake6.jpg.webp)
ગુજરાતનું કાશ્મીર નર્મદા જિલ્લો
ગુજરાતનો નાનકડો વનવાસી જિલ્લો એટલે નર્મદા જિલ્લો. જ્યાં સૌથી વધુ અને મોટો વન વિસ્તારો આવેલા છે. સાતપુડા અને વિધ્યાંચલની ગિરીમાળાઓ આ ચોમાસાની ઋતુ આ સોળે કળાએ ખીલી ઉઠે છે અને જેને કારણે જ ગુજરાતના કાશ્મીરનું ઉપનામ નર્મદા જિલ્લાને મળ્યું છે. નર્મદા જિલ્લામાં આવેલો ઝરવાણી ધોધ તો ખુબજ પ્રખ્યાત છે. પરંતુ ખુબ જ સૌંદર્ય ઠરાવતા અન્ય ધોધ પણ છે. સાતપુડાની ગીરીકંદરાઓ ખળખળ વહેતી નદી, ઝરણા અને વન આચ્છદીત કુદરતી પ્રકુતિને કારણે નર્મદા જીલ્લાને મીની કાશ્મીરનું બિરૂદ મળ્યું છે.
![Photo of શનિ-રવિની રજામાં ફરવા માટે આ ગામ બન્યુ લોકોમાં ફેવરિટ, તમે પણ પહોંચી જાઓ કુદરતના ખોળે by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1689427490_zarwani_waterfall1.jpg.webp)
પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યો ઝરવાણી ધોધ
નર્મદા જીલ્લાનું પ્રાકૃતિક સૌંદર્ય ચોમાસાની સીઝનમાં અનેક ગણું વધી જાય છે. વીકેન્ડ્સમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જાય છે.
ખાસ ચોમાસાની મોસમમાં હાલ SOUની બાજુમાં આવેલ ઝરવાણી ધોધ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ને કારણે નર્મદા જીલ્લ્લો પ્રવાસન ધામ તરીકે પ્રખ્યાત થયો છે. વળી ચોમાસામાં ઓવરફ્લો નર્મદા ડેમ જોવો એ પ્રવાસીઓ માટે એક આકર્ષણ કહેવાય છે. 860 મીટરની ઉંચાઇએથી પડતો પાણીનો ધોધ મનોરમ્ય દ્રશ્ય ઉભુ કરે છે. ત્યારે આ ધોધ જોવા માટે માત્ર ચોમાસાની સીઝનમાં 4 થી 5 લાખ પ્રવાસીઓ આવે છે.
![Photo of શનિ-રવિની રજામાં ફરવા માટે આ ગામ બન્યુ લોકોમાં ફેવરિટ, તમે પણ પહોંચી જાઓ કુદરતના ખોળે by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1689427511_zarwani_waterfall.jpg.webp)
ઝરવાણી ધોધમાં ન્હાવાની મજા જ કંઇક અલગ છે
ગુજરાતભરમાં પ્રવાસીઓ વોટરપાર્કમાં પોતાના બાળકોને લઇ જતા હોય છે. પરંતુ નર્મદા જિલ્લાના ઘનઘોર સાતપુડાની વનરાજી વચ્ચે વહેતા ઝરવાણી ધોધના ખળખળ વહેતા ઝરણાંમાં નાહવાની મજા કંઈક અલગ અનુભુતિ કરાવે છે. વળી અહીંયા ખાસ જંગલ વિસ્તારમાં નદી નાળા આવેલા છે. જે પણ કુદરતી સૌંદર્યમાં અનેક ગણો વધારો કરે છે.
ગિરા ધોધ
![Photo of શનિ-રવિની રજામાં ફરવા માટે આ ગામ બન્યુ લોકોમાં ફેવરિટ, તમે પણ પહોંચી જાઓ કુદરતના ખોળે by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1689427532_girmal_waterfall.jpg.webp)
ચોમાસામાં ડાંગ જિલ્લો કોઇ નવોઢાએ સોળ શણગાર કર્યો હોય તેવું વિશેષ રૂપ ધારણ કરે છે. તેમાં પણ સાપુતારાથી નજીક વધઇ ગામ પાસે આવેલો ગીરા ધોધ જાજરમાન અને રૌદ્ર બંને એકસાથે ધારણ કરે છે. આ ધોધ ( Gira Dhodh)નો લયબદ્ધ ધ્વનિ છેક દૂરથી સાંભળી શકાય છે. અંબિકા નદીના કિનારેથી રેતીમાં ઉતરીને ખડકાળ પથ્થરો વચ્ચેથી ધોધ તરફ જવાનો રસ્તો નીકળે છે. ખડકો પર ઊભા રહીને ધોધ જોવાનો લહાવો માણી શકાય છે. 20 ફૂટ ઊંચેથી વહેતી નદીના ધસમસતા પ્રવાહમાં ડૂબી કે ખેંચાઇ જવાનો ભય છે. આથી આ ધોધની નજીક જવું પણ સદંતર જોખમી છે. આ એક જ સ્થળે સાતથી આઠ ધોધ પડે છે. ચોતરફ ફેલાયેલી હરિયાળી આ ધોધની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.
![Photo of શનિ-રવિની રજામાં ફરવા માટે આ ગામ બન્યુ લોકોમાં ફેવરિટ, તમે પણ પહોંચી જાઓ કુદરતના ખોળે by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1689427544_gira_waterfall_saputara1.jpg.webp)
વઘઈના આંબાપાડા નજીક આવેલા આ વિશાળકાય ધોધના નામ પાછળ એક ચોક્કસ કારણ છે. નામ એક નદી ઉપરથી પડ્યું છે. મહારાષ્ટ્રના જંગલો અને પર્વતોને ચિરતી ગીરા નદી ડાંગ સુધી પહોંચે છે. અહીં આબાંપાડા નજીક એક ઊંચા ખડક પરથી આ નદી સીધી નીચે અંબિકા નદીમાં ખાબકે છે. ગીરા નદીના નામ પરથી જ આ વોટરફોલને ગીરા ધોધ નામે ઓળખવામાં આવે છે. ધોધ સ્વરૂપે નીચે પડતા પહેલા તેના પાણીને રોકવા ચેક ડેમ પણ બનાવવામાં આવ્યો છે. ચોમાસામાં નદીમાં પાણીનો જથ્થો વધતાં ચેક ડેમ ઓવરફલો થઈ ધોધ સ્વરૂપે ગીરા નદી નીચે પડી અંબિકામાં સમાઈ જાય છે.
અહીંથી અંબિકા નદી અનેક નાની મોટી નદીઓને પોતાનામાં સમાવતી બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. ગીરા ધોધ ( Gira Dhodh)વધઇથી માત્ર 4 કિલોમીટરના અંતરે આવેલો છે. જે સુરતથી અંદાજે દોઢસો કિલોમીટર દૂર છે,જ્યારે સાપુતારાથી અંદાજે
50 કિલોમીટરના અંતરે છે. અમદાવાદ શહેરથી ગીરા ધોધનું અંતર આશરે 400 કિલોમીટર છે.
ગીરમાળ ધોધ
![Photo of શનિ-રવિની રજામાં ફરવા માટે આ ગામ બન્યુ લોકોમાં ફેવરિટ, તમે પણ પહોંચી જાઓ કુદરતના ખોળે by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1689427557_girmal_waterfall.jpg.webp)
આવો જ બીજો એક ધોધ ગીરમાળ (Girmal waterfall) આવેલો છે. આ ધોધ પણ સાપુતારા (Saputara) નજીક આવેલો છે. આ ધોધ આહવામાં સુબીર ગામ (Subir village) નજીક આવેલો છે. સુબીર ગામથી આ ધોધ 14 કિલોમીટર દૂરના અંતરે આવેલો છે. અહીં પહોંચવા
માટેનો રસ્તો પ્રમાણમાં સારો છે. અહીં આસપાસ પૂર્ણા નદી (Purna river) આવેલી છે. આસપાસનો વિસ્તાર પૂર્ણા વાઇલ્ડ લાઇફ સેન્ચુરી છે.
ચોમાસા દરમિયાન અહીંની મુલાકાત સ્વર્ગનો અનુભવ કરાવશે!
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો