રાજસ્થાન એક એવું રાજય છે જે ઇતિહાસ, સંસ્કૃતિ, રંગ-બેરંગી સ્વભાવવાળા લોકોથી ભરેલું છે. રાજસ્થાનમાં ઐતિહાસિક જગ્યાઓની કમી નથી. જેમાનું એક શહેર છે ઝાલાવાડ જેની ગલીઓમાં ફરવાથી મંત્રમુગ્ધ થઈ જવાય છે. વિશાળ કિલ્લો અને ઘણા મંદિરોથી ભરેલું ઝાલાવાડ જરૂર જોવું જોઈએ.

ઝાલાવાડ શહેરની સ્થાપના પહેલી વાર વર્ષ 1791 માં ઝાલા જાલીમસિહે કરી હતી. રાજયની રાજધાની શહેર બન્યા પછી ઝાલાવાડ બહુ જલદી રાજપુતાણા વિસ્તારનું મુખ્ય શહેર બની ગયું.
રાજસ્થાન માં દક્ષિણ પૂર્વ વિસ્તારમાં આવેલું ઝાલાવાડ જે લોકોને ભીડભાડવાળી જગ્યા પસંદ નથી તેવા લોકો માટે એકદમ પરફેક્ટ જગ્યા છે. ઝાલાવાડની બાબત માં બહુ ઓછા લોકોને જાણકારી છે.
શું જોવું ?
ઝાલાવાડમાં જોવા અને ફરવા માટે ઘણી જગ્યાઓ છે.
1. ઝાલાવાડ ફોર્ટ
ઝાલાવાડ ફોર્ટ જેને ગઢ પેલેસ થી નામ થી ઓળખાય છે. જે આ શહેર નું મુખ્ય આકર્ષણ છે. ઝાલાવાડ ફોર્ટ ની રાણીઓના મહેલ ની ચમક પણ જોવા લાયક છે. ઝાલાવાડ ફોર્ટનું નિર્માણ 19 મી સદીમાં મહારાજા રાણા મદનસિહે કર્યું હતું. વાસ્તુકળાનો શ્રેષ્ઠ નમૂનો એવો આ કિલ્લો તેની દીવાલો પરના પેંટિંગ અને નકશીકામ માટે પણ વિખ્યાત છે.
2. ઝાલરાપાટણ
મુખ્ય શહેરથી માત્ર 7 કિમી દૂર આવેલા ઝાલરાપાટણની નજીકમાંથી ચંદ્રભાગા નદી વહે છે. જેનો નજારો જોવાલાયક હોય છે. બગીચાઓ, નદીનું વહેતું પાણી અને રાજસ્થાન ના કોટા જીલા થી પ્રેરીત નકશીકામ જોવાલાયક છે. શાંત જગ્યામાં ચિત્રકામ કરવા માટે આ જગ્યા સારી લાગશે. અહીં અનેક મંદિરો આવેલા છે જે પૈકી 100 ફૂટ ઊંચું સુર્ય મંદિર વિશેષ આકર્ષણ છે.
3. ભવાની નાટયશાળા
20 મી સદીમાં મહારાજ ભવાની સિંહ દ્વારા બનાવવામાં આવેલી ભવાની નાટયશાળા ઝાલાવાડની એક એવી જગ્યા છે જયાં કળા,થિએટર અને સંસ્કૃતીનો અદભૂત નજારો જોવા મળે છે. એક જમાના માં આ નાટયશાળામાં બધા જ પારસી નાટકોનું આયોજન કરવામાં આવતું હતું. સફેદ અને લાલ રંગની આ ઇમારતમાં એક સુરંગ પણ આવેલી છે.
4. ચંદ્રભાગા મંદિર
ચંદ્રભાગા નદીના કિનારા ઉપર બનેલું ચંદ્રભાગ મંદિર જોઈને દિલ ખુશ થઈ જાય છે. મંદિર ના સ્તંભ અને સિલીંગ ખાસ ડીઝાઇન થી તૈયાર કરેલ છે. જે જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે. આ મંદીર ની બનાવટમાં 11મી સદીની વાસ્તુકલા સ્પષ્ટ દેખાઈ આવે છે. શાંતિનાથ જૈન મંદિરોનું નકશીકામ પણ મુલાકાતીઓનું ધ્યાન ખેંચે છે.

5. ગાગરોન ફોર્ટ
ગાગરોન ફોર્ટનું લોકેશન એવું છે કે તેને પર્વત અને પાણી કિલ્લાના નામ થી પણ ઓળખાય છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન ધરાવતા આ કિલ્લાની સામે યાહૂ,કાલી,અને સિંધુ નદી વહે છે.આ કિલ્લાની આસપાસ જંગલોથી ઘેરાયેલી હરિયાળી ટુરીસ્ટો માટે આકર્ષક છે. કિલ્લાની અંદર ભગવાન શિવ,ગણેશ અને દેવી દૂર્ગા ની મૂર્તિઓ સ્થાપિત કરેલી છે.
ક્યારે જવું ?
સારી રીતે ઝાલાવાડમાં ફરવું હોય તો ઓકટોબર થી ફેબ્રુઆરીની વચ્ચે જવાનું પ્લાનીંગ કરવું જોઈએ. આ સમય માં ઝાલાવાડમાં સિઝન સહુ થી સરસ હોય છે. દિવસે કૂણો તડકો અને રાત્રે ઠંડી હવાને લીધે ગરમ કપડાં અને ઉનના મોજા જરૂર રાખવા જોઈએ.
કયા રોકાવું ?
ઝાલાવાડમાં રોકાવા માટે આપના બજેટ પ્રમાણે હોટેલ અને ગેસ્ટ હાઉસ મળી જાય છે. અગાઉથી બુકીંગ કરાવ્યું હોય તો તકલીફ ઓછી પડે છે.
કેવી રીતે પહોંચવું ?
રાજસ્થાન રાજયનું શહેર હોવા છતાં ઝાલાવાડ પહોંચવા માટે કોઈ સાધન મળવું સહેલું નથી. ઝાલાવાડ પહોંચવા માટે કોઈ સીધી ફલાઈટ કે ટ્રેન નથી મળતી તેથી નજીકના એરપોર્ટ કે સ્ટેશન થી ટેક્સી અથવા બસ કરીને ઝાલાવાડ પહોંચી શકાય છે.

ફલાઈટથી : જો ફલાઈટ થી ઝાલાવાડ જાવું હોય તો ભોપાલ ના રાજા ભોજ એરપોર્ટ જવું પડે. ત્યાંથી 230 કિમી દૂર આવેલા ઝાલાવાડમાં બસ અથવા ટેક્સી દ્વારા પહોંચી શકાય છે.
ટ્રેનથી : જો ટ્રેન થી ઝાલાવાડ જાવું હોય તો રામગંજ મંડી સ્ટેશન જવું પડે જે ઝાલાવાડ થી લગભગ 25 કિમી દૂર છે. રામગંજ મંડી સ્ટેશન થી આસાની થી બસ કે ટેક્સી મળી જાય છે.
વાયા રોડ : રોડ મારફત ઝાલાવાડ જાવું હોય તો નેશનલ હાઇ વે 12 પર આગળ જઈને આસાનીથી બસ મળી જાય છે.
.