ગુજરાતનું ગૌરવ એવા ગિરનારની તળેટીમાં થતી યાત્રા: ગિરનાર પરિક્રમા

Tripoto

ગિરનાર એ આખા ગુજરાત રાજ્ય માટે સૌથી મહત્વનો પર્વત છે. કુદરતી દ્રષ્ટિએ પણ અને ધાર્મિક દ્રષ્ટિએ પણ. હજારો શ્રદ્ધાળુઓ આ પવિત્ર પર્વતનું આરોહણ કરવા રાજ્યભરમાંથી જુનાગઢ આવે છે.

ગિરનાર માત્ર પર્વત જ નહિ અને તેની તળેટી પણ એટલી જ પવિત્ર ગણાય છે. અને તેનું કારણ છે ગિરનાર પરિક્રમા.

Photo of Junagadh, Gujarat, India by Jhelum Kaushal

રાજ્ય તેમજ દેશભરમાંથી અનેક લોકો દર વર્ષે ગિરનાર પરિક્રમામાં ભાગ લે છે.

ગિરનાર પરિક્રમા:

સામાન્ય રીતે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનાર પરિક્રમાનું આયોજન થાય છે. જુનાગઢ શહેરમાં જ આવેલા પ્રખ્યાત ભવનાથ તળેટીના દુધેશ્વર મંદિરથી પરિક્રમાની શરૂઆત થાય છે. ઠંડીના ચમકારા સાથે શિયાળાની શરૂઆત થઈ ગઈ હોય એટલે વિશાળ વનમાં પગપાળા ચાલીને થતી આ એક વિકટ યાત્રા છે.

મુખ્યત્વે ‘અઘોરી’ નામે જાણીતા સાધુઓ આ યાત્રામાં સવિશેષ જોવા મળે છે, તે સિવાય ઘણા સામાન્ય માનવી પણ આસ્થાભેર આ પરિક્રમામાં ભાગ લે છે.

Photo of Girnar, Gujarat by Jhelum Kaushal

ગિરનાર પરિક્રમાનો માર્ગ:

આખી પરિક્રમાનું સરેરાશ કુલ અંતર 36 કિમી જેટલું છે જે વિવિધ ભાગમાં વહેચાયેલું છે:

ભવનાથ- ઝીણા બાવાની મઢી: 12 કિમી

ઝીણા બાવાની મઢી- માલવેલા: 8 કિમી

માલવેલા- બોરદેવી: 8 કિમી

બોરદેવી- ભવનાથ: 8 કિમી

પરિક્રમા:

ભવનાથથી શરુ થઈને પરિક્રમા ઝીણા બાવાની મઢી સુધી પહોંચે ત્યાં સુધીનો રસ્તો ચઢાણ તેમજ ઉતારવાળો છે. જુનાગઢ જિલ્લાના સૌથી મોટા ડેમ એવા હસનાપુર ડેમ પાસે ઝીણા બાવાની મઢી આવેલું છે જ્યાં યાત્રાળુઓ રાતવાસો કરે છે. આ જગ્યાએ ચંદ્ર-મૌલેશ્વર મહાદેવનું એક ખૂબ સુંદર મંદિર પણ આવેલું છે. કહેવાય છે કે આ મંદિરેથી સિંહ દેખાવની શક્યતા ખૂબ વધારે રહે છે.

Photo of ગુજરાતનું ગૌરવ એવા ગિરનારની તળેટીમાં થતી યાત્રા: ગિરનાર પરિક્રમા by Jhelum Kaushal
Photo of ગુજરાતનું ગૌરવ એવા ગિરનારની તળેટીમાં થતી યાત્રા: ગિરનાર પરિક્રમા by Jhelum Kaushal

ઝીણા બાવાની મઢીથી પરિક્રમા આગળ વધારવાના બે વિકલ્પ છે. એક તો સીધા જ માલવેલા પહોંચવું, અથવા તો સુખડીયા હનુમાન મંદિરના દર્શન કરીને પછી માલવેલા પહોંચવું. આ મંદિર ઘેઘૂર વનરાજી વચ્ચે આવેલું છે અને અહીં 24 કલાક સિંહની ગર્જના સંભળાય છે. સુખડીયા મંદિરથી ઘણા શ્રદ્ધાળુઓ સૂરજ-કુંડની પણ મુલાકાત લે છે.

માલવેલાથી આગળનો રસ્તો ગિરનાર પરિક્રમાનો સૌથી મુશ્કેલ રસ્તો ગણાય છે. અહીં એક શિખર પર નાની ઝૂંપડીઓ આવેલી છે જ્યાં ગિરનાર પરિક્રમામાં ભાગ લઈ રહેલા શ્રદ્ધાળુઓની નોંધણી થાય છે. યાત્રાળુઓએ આ જગ્યાએ ચડીને ફરીથી નીચે ઊતરવું પડે છે અને ફરીથી અમુક કિમી સુધી વિકટ માર્ગે પરિક્રમા આગળ વધારવી પડે છે. ગિરનાર પરિક્રમા દરમિયાન સૌથી વધુ અકસ્માતોના કિસ્સા આ સ્થળે જ નોંધાય છે.

અહીંથી બોરદેવી પહોંચીને આ પરિક્રમા ફરીથી કુદરતી રીતે માણવાલાયક જગ્યાએ પહોંચે છે. અહીં અઢળક સંખ્યામાં આંબાઓ આવેલા છે અને મગરનું ઘર ગણાતા કેટલાક તળાવ પણ. છેલ્લા દિવસે બોરદેવીથી નીકળીને ભવનાથ તળેટીએ ગિરનાર પરિક્રમાનું સમાપન થાય છે.

ધાર્મિક મહત્વતાની સાથોસાથ સામાજિક દ્રષ્ટિએ પણ ગિરનાર પરિક્રમા અનેરું મહત્વ ધરાવે છે. કારણકે આ પરિક્રમામાં ભાગ લેતા તમામ લોકો માત્ર તેમની આસ્થા પર જ નિર્ભર હોય છે, નહિ કે તેમના કોઈ સામાજિક કે આર્થિક સ્ટેટસ પર!

માહિતી: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન

ફોટોઝ: ગૂગલ

તમે ગિરનાર પરિક્રમા વિષે કોઈ અનોખી વાતો કે કિસ્સાઓ જાણો છો? અમને કમેન્ટ્સમાં જણાવો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads